અમેરિકાની પહેલ પર લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ સમજૂતીની આશા વ્યક્ત કરી છે. જોકે, દક્ષિણ લેબનોનમાં હજુ પણ હુમલા ચાલુ છે અને હિઝબુલ્લાહ તથા ઈઝરાયેલ વચ્ચે તણાવ યથાવત છે.


ઝફાયરને વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવ્યો

લેબનોન અને ઈઝરાયેલે પરસ્પર સહમતીથી સીઝફાયરને વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવ્યો છે. આ નિર્ણય વ્હાઇટ હાઉસમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠક બાદ લેવામાં આવ્યો હતો, જેની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી. ઓવલ ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં ઈઝરાયેલના રાજદૂત યેચિએલ લાઇટર અને લેબનોનના રાજદૂત નદા મોવાવાદ સામેલ થયા હતા. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા જ ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે.

 બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી 

ટ્રમ્પે કહ્યું કે બેઠક ઘણી સારી રહી અને અમેરિકા લેબનોનને હિઝબુલ્લાહથી પોતાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. જોકે, હિઝબુલ્લાહના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર નહોતા. ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉનને અમેરિકા બોલાવવા માંગે છે. તેમનું માનવું છે કે આ ત્રણ અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી થવાની પ્રબળ શક્યતા છે.

રવિવારે ખતમ થઈ રહ્યો હતો સીઝફાયર

આ બેઠકમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, ઈઝરાયેલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબી અને લેબનોનમાં અમેરિકી રાજદૂત મિશેલ ઈસા પણ હાજર હતા. ઈઝરાયેલ અને લેબનોનના રાજદૂતોની વાતચીત બાદ 17 એપ્રિલે 10 દિવસનો સીઝફાયર લાગુ કરવામાં આવ્યો હતો, જે રવિવારે 27 એપ્રિલે પૂરો થવાનો હતો.

 યુદ્ધવિરામ પછીનો સૌથી ખતરનાક દિવસ

સીઝફાયર દરમિયાન હિંસામાં ઘટાડો થયો છે, પરંતુ દક્ષિણ લેબનોનમાં હુમલા સંપૂર્ણપણે બંધ થયા નથી. અહીં ઈઝરાયેલી સેનાએ બફર ઝોન બનાવી રાખ્યો છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તાજેતરના હુમલાઓમાં 3 લોકોના મોત થયા છે અને એક બાળક સહિત 2 લોકો ઘાયલ થયા છે. બુધવારે પત્રકાર અમલ ખલીલનું પણ અવસાન થયું હતું, જે યુદ્ધવિરામ પછીનો સૌથી ખતરનાક દિવસ રહ્યો હતો.

લેબનોને શું માંગણીઓ રાખી?

બેઠકમાં લેબનોને માંગણી કરી હતી કે ઈઝરાયેલ તેની સેના પાછી ખેંચે, કેદીઓને મુક્ત કરે અને સરહદ સ્પષ્ટ કરવામાં આવે. બીજી તરફ, ઈઝરાયેલ ઈચ્છે છે કે લેબનોન સરકાર તેની સાથે મળીને હિઝબુલ્લાહને નબળું પાડે. લેબનોન સરકાર છેલ્લા એક વર્ષથી આ સંગઠનને શાંતિપૂર્ણ રીતે નિશસ્ત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.આ સંઘર્ષ 2 માર્ચે ફરી શરૂ થયો હતો, જ્યારે હિઝબુલ્લાહ દ્વારા ઈરાનના સમર્થનમાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 2,500 લોકોના મોત થયા છે. ઈઝરાયેલે દક્ષિણ લેબનોનના 5 થી 10 કિમી સુધીના વિસ્તાર પર કબજો જમાવ્યો છે, જેથી તે પોતાના ઉત્તર ભાગને હુમલાઓથી બચાવી શકે.

આ પણ વાંચો: Trump Statement:ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની ઉતાવળ નથી,સમજૂતી નહીં થાય તો પરિણામ ખરાબ આવશે.

  • Follow us on: