નેપાળમાં સરકારી ભ્રષ્ટાચાર સામે GEN-Z ના વિરોધ પ્રદર્શનોને કારણે ફેલાયેલી હિંસાથી સ્થિતિ બેકાબૂ બની રહી છે. આવી પરિસ્થિતિમાં નેપાળ ગયેલા પ્રવાસીઓ અને ત્યાં રહેતા ભારતીય નાગરિકો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પાણીટંકીમાં ભારત-નેપાળ સરહદ ઓળંગી ભારત પાછા આવ્યા છે. ભારત આવ્યા બાદ નાગરિકોએ જણાવ્યું કે હવે તેમને સારું લાગે છે. એમ લાગે છે કે જીવમાં જીવ પાછો આવી ગયો છે.
પ્રવાસીઓનો જીવમાં જીવ આવ્યો
નેપાળમાંથી પાછા ફરેલા એક પર્યટકે કહ્યુ કે ત્યાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. હડતાળ 10-15 દિવસ સુધી ચાલશે. અમે આસામથી છીએ અને હવે નેપાળમાંથી પાછા ફરી રહ્યા છીએ. ભારત આવીને સારું લાગ્યું. એવું લાગે છે કે જીવ બચી ગયો. બુધવારે ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.













