નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન હટાવ્યા છતાં ઓલી સરકાર વિરુદ્ધ યુવાઓનું હિંસક પ્રદર્શન ચાલુ છે. હિંસા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ નેપાળમાં ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક દિશ નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. યતિ એરલાઇન્સે ટ્રાવેલ એડવાયઝરી પણ જારી કરી છે.


અનેક મંત્રીઓએ આપ્યા રાજીનામાં

નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ યુવાનોનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હિંસક પ્રદર્શન વચ્ચે અત્યાર સુધી ઓલી સરકારના 5થી વધુ મંત્રીઓ રાજીનામું આપી ચૂક્યા છે. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલ અને વોટર સપ્લાય મંત્રી પ્રદીપ યાદવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, સરકાર દ્વારા પ્રદર્શનકારીઓની માંગ આગળ ઝુકીને સોશિયલ મીડિયા પર લાગેલા અનેક મહત્વના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ છતાં પ્રદર્શનકારીઓ હજી પણ રસ્તાઓ પરથી હટવા તૈયાર નથી.

ભારતીયોને સાવચેત રહેવાની સલાહ

બગડેલી પરિસ્થિતિઓ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા નેપાળમાં રહેલા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. MEA એ નેપાળમાં રહેલા ભારતીયોને સાવચેત રહેવા, જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવા અને સ્થાનિક સત્તાવાળાઓના નિર્દેશોનું પાલન કરવા માટે જણાવ્યું છે.

યતિ એરલાઈન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

નેપાળમાં કર્ફ્યૂ લાગેલા સમયે યતિ એરલાઈન્સે મુસાફરોને સલાહ આપી છે કે જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો સમયસર એરપોર્ટ પર પહોંચી જવું. એરલાઈન્સે ટિકિટ કેન્સલ કે રીશેડ્યૂલ કરવા માટે પોતાનું કોલ સેન્ટર અને એરપોર્ટના નંબર પણ શેર કર્યા છે:

કોલ સેન્ટર: 01–5970074

એરપોર્ટ: 01–4113215, 4113207


  • Follow us on: