કાઠમાંડૂમાં સંસદ ભવનની બહાર પ્રદર્શન જારી છે અને વડાપ્રધાન વિરુદ્ધ નારેબાજી થઇ રહી છે. સવારે કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો, પરંતુ સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાંક ભાગમાં આજે અડધી રાત્રિ સુધી રહેશે. આ વચ્ચે આઇ ટી મંત્રીએ ઘોષણા કરી છે કે નેપાળ સરકારે મીડિયા પ્લેટફોર્મ પર લગાવેલો બેન હટાવી લીધો છે અને તેને ધીરે ધીરે પુનઃસ્થાપિત કરવામાં આવશે.


Gen-Zના આંદોલન વચ્ચે PM ઓલિ દુબઈ જવાના તૈયારીમાં

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલિ દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોનાં અહેવાલ મુજબ તેઓ સારવાર માટે દુબઈ જવાના પ્લાનમાં છે. નેપાળની ખાનગી એરલાઈન હિમાલય એરલાઈનને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારમાં ઘણા મંત્રીઓના રાજીનામા બાદ, ઓલીએ પોતાના નજીકના સહયોગીઓ સાથે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તેમણે નાયબ વડા પ્રધાનને કાર્યવાહક જવાબદારી સોંપી છે. આ દરમિયાન વડાપ્રધાનની દુબઈ યાત્રાની તૈયારીને લઈને રાજકીય વાતાવરણમાં ચર્ચા છે અને જનતામાં પણ તણાવ છે.

Nepali કોંગ્રેસ અધ્યક્ષના ઘરે તોડફોડ અને આગચંપી

નેપાળમાં કેપી ઓલીની સરકારમાં સહયોગી રહી ચૂકેલી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉવાના નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો. તેમના ઘરમાં ઘુસી જઈને આગચંપી કરવામાં આવી. અંદાજે અડધા ડઝન કરતા વધુ વાહનોએ આગ ચાંપી દેવામાં આવી. પોલીસ અને સુરક્ષા દળોએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રિત કરવાની કોશિશ કરી. રાજધાની કાઠમાંડુમાં હાલાત તણાવપૂર્ણ છે અને તંત્ર એલર્ટ પર છે.

નેપાળના પૂર્વ PM પ્રચંડના ઘરમાં આગચંપી

Gen-Zના યુવાનો નેપાળમાં ચાલતા આંદોલનમાં આગળ છે. પ્રદર્શનકારીઓએ લલિતપુરમાં CPN માઓવાદી સેન્ટરના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’ના નિવાસ પર હુમલો કરીને ત્યાં આગ લગાવી દીધી.મહત્વનુ છે કે સોશિયલ મીડિયા બેનને લઇને યુવાનો જે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા તે પ્રદર્શન હજુ પણ થમ્યુ નથી. કર્ફ્યુ અને પોલીસ સામે પણ યુવકોએ આજ સવારથી જ ફરી રસ્તા પર ઉતર્યા છે. 

  • Follow us on: