દક્ષિણ એશિયાની વ્યૂહાત્મક સુરક્ષામાં એક ઐતિહાસિક અને મોટો ફેરફાર સામે આવ્યો છે. વૈશ્વિક સ્તરે હથિયારો અને લશ્કરી સુરક્ષા પર નજર રાખતી સંસ્થા 'સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SIPRI) દ્વારા જૂન 2026માં જાહેર કરાયેલા નવા અહેવાલે પાકિસ્તાનના પરમાણુ સુરક્ષા કવચના ભ્રમને હંમેશા માટે તોડી નાખ્યો છે. સિપ્રીના રિપોર્ટ અનુસાર, મે 2025માં ભારતે ચલાવેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનના તે પરમાણુ મથકો અને કમાન્ડ સેન્ટરોને સીધું નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના જોરે પાકિસ્તાન દાયકાઓથી ભારતને બ્લેકમેલ કરતું આવ્યું હતું.
ઓપરેશન સિંદૂર: પરમાણુ અડ્ડાઓ પર પ્રહાર
મે 2025માં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના અને સેનાએ સંયુક્ત રીતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. સિપ્રીની 'યરબુક 2026' માં નોંધવામાં આવ્યું છે કે આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનના કુખ્યાત 'કિરાના હિલ્સ' વિસ્તાર અને વ્યૂહાત્મક 'નૂર ખાન એરબેઝ' પર સચોટ પરંપરાગત હુમલા કર્યા હતા. નૂર ખાન એરબેઝ પાકિસ્તાનનું મુખ્ય ન્યુક્લિયર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર માનવામાં આવે છે. પાકિસ્તાન હંમેશા એવી ધમકી આપતું હતું કે ભારતની કોઈપણ લશ્કરી કાર્યવાહી સામે તે પરમાણુ હથિયાર વાપરશે, પરંતુ ભારતે તેના પરમાણુ મથકો પર જ હુમલો કરીને આ દાવાની હવા કાઢી નાખી છે.
પરમાણુ હથિયારોની રેસમાં ભારત આગળ
રિપોર્ટના તાજા આંકડા અનુસાર, જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે પરમાણુ વોરહેડ્સની સંખ્યા વધીને 190 પર પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. ચીન અને પાકિસ્તાન બંને તરફથી મળતા સુરક્ષા પડકારોને કારણે ભારતે પોતાના પરમાણુ આધુનિકીકરણ કાર્યક્રમને ઝડપી બનાવ્યો છે, જેના કારણે છેલ્લા એક વર્ષમાં ભારતના ભંડારમાં 10 નવા પરમાણુ હથિયારો ઉમેરાયા છે.
ઇતિહાસમાં પહેલીવાર શાંતિકાળમાં પરમાણુ હથિયારો તૈનાત
આ અહેવાલનો સૌથી ચોંકાવનારો મુદ્દો ભારતની ન્યુક્લિયર પોલિસીમાં આવેલો મોટો બદલાવ છે. ભારતે ઇતિહાસમાં પહેલીવાર શાંતિકાળ (Peacetime) દરમિયાન પણ પોતાના અંદાજે 12 પરમાણુ વોરહેડ્સને ઓપરેશનલી સક્રિય સ્થિતિમાં તૈનાત રાખ્યા છે. નિષ્ણાતોના મતે, આ હથિયારો સમુદ્રમાં ગર્જના કરી રહેલી ભારતની પરમાણુ સબમરીન (SSBN) પર તૈનાત હોઈ શકે છે. આ બદલાવ દર્શાવે છે કે ભારત 'નો ફર્સ્ટ યુઝ' (પહેલા હથિયાર ન વાપરવાની નીતિ) પર કાયમ રહીને પણ દુશ્મનને પલક ઝપકાવતા જ સચોટ જવાબી હુમલો આપવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ, 88 કલાક ચાલેલા આ સંઘર્ષમાં બ્રહ્મોસ મિસાલોની સાથે ડિજિટલ મોરચે 'સાઇબર વોરફેર'નો પણ પહેલીવાર ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:El Ninoની અસર, ચોમાસા પર સંકટ સાથે દેશમાં મોંઘવારી વધવાનો મોટો ખતરો, જાણો નવો રિપોર્ટ