પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ ક્વેટા શહેરમાં થયેલા ભયાનક ટ્રેન હુમલાનો બદલો લેતા ૧૭ શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેનાના સત્તાવાર મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે ક્વેટા સ્ટેશન નજીક એક શટલ ટ્રેન પર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ૩ સુરક્ષાકર્મીઓ સહિત ૧૬ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સેનાએ આખા બલૂચિસ્તાનમાં મોટા પાયે ઇન્ટેલિજન્સ-બેઝ્ડ ઓપરેશન (IBO) શરૂ કર્યા હતા.
આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા
સેનાએ બલૂચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, ઝહરી, ખુઝદાર અને કેચ જેવા વિવિધ જિલ્લાઓમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને 'ફિતના-અલ-હિન્દોસ્તાન' સંગઠન સાથે જોડાયેલા આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને તૈયાર આઈઈડી (IED) વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે.













