બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ સામે વધતી હિંસાની વચ્ચે હવે એક વધુ ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી (JI) એ હિન્દુઓના પરંપરાગત અને મહત્વપૂર્ણ તહેવાર મકરસંક્રાંતિ, જેને બાંગ્લાદેશમાં શકરૈન તરીકે ઓળખવામાં આવે છે, તેની ઉજવણી સામે ખુલ્લેઆમ ચેતવણી આપી છે. સંગઠનનું કહેવું છે કે સંગીત વગાડવું, પતંગ ઉડાડવું અને જાહેર ઉજવણી “બિન-ઇસ્લામિક” છે અને જો તેનો ભંગ કરવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.


આ રીતે આપવામાં આવી ચેતવણીઓ

આ ચેતવણીઓ સોશિયલ મીડિયા, સ્થાનિક જાહેરાતો અને મૌખિક સૂચનાઓ દ્વારા આપવામાં આવી છે. ઢાકા, ચિત્તાગોંગ અને સિલહટ જેવા શહેરોમાં રહેતા હિન્દુ પરિવારોમાં અસુરક્ષાની લાગણી વધી છે. ઘણા પરિવારો હવે જાહેર ઉજવણી ટાળી રહ્યા છે અને તહેવારને માત્ર ઘરની અંદર સાદગીથી મનાવવાનો નિર્ણય લઈ રહ્યા છે.

શકરૈન બાંગ્લાદેશમાં જૂની પરંપરા

શકરૈન બાંગ્લાદેશમાં સદીઓ જૂની પરંપરા છે, જે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાય છે. પતંગ ઉડાડવી, તલ-ગોળની મીઠાઈઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ તહેવારનો અભિન્ન ભાગ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કટ્ટરપંથી જૂથો તેને નિશાન બનાવી રહ્યા છે. ગયા વર્ષે પણ કેટલીક જગ્યાએ ઉજવણી દરમિયાન હુમલાના આરોપો લાગ્યા હતા, જેના કારણે તણાવ વધ્યો હતો.

2025માં વિદ્યાર્થી નેતાની હત્યા

પરિસ્થિતિ વધુ ખરાબ ત્યારે બની જ્યારે ડિસેમ્બર 2025માં વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ દેશના અલગ-અલગ વિસ્તારોમાં હિન્દુઓ સામે હિંસાના બનાવો વધ્યા. દીપુ ચંદ્ર દાસ, અમૃત મંડલ અને બજેન્દ્ર બિશ્વાસ જેવી હત્યાઓએ સમગ્ર સમુદાયમાં ડર ફેલાવ્યો. શરિયતપુર જિલ્લામાં હિન્દુ વેપારીની લિંચિંગની ઘટના આ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

હિંસાના ઓછામાં ઓછા 51 બનાવો

બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા મુજબ, માત્ર ડિસેમ્બર મહિનામાં જ સાંપ્રદાયિક હિંસાના ઓછામાં ઓછા 51 બનાવો નોંધાયા હતા. તેમાં હત્યાઓ, લૂંટફાટ, આગચંપી, ખોટા આરોપો, શારીરિક હુમલા અને મંદિરો તથા ઘરોને નિશાન બનાવવાની ઘટનાઓ સામેલ છે. જ્યારે દેશ ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વચગાળાની સરકાર અને રાજ્ય તંત્રની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લઘુમતી સમુદાયોની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા જાળવવી બાંગ્લાદેશ માટે હાલ સૌથી મોટો પડકાર બની ગઈ છે.

આ પણ વાંચો : Greenland પાસે એવું શું છે જે ટ્રમ્પ કોઈપણ કિંમતે મેળવવા માંગે છે? હવે, આ નિવેદન!


  • Follow us on: