- બલૂચિસ્તાનાં કોલસાની ખાણમાં મિથેન ગૅસને લીધે વિસ્ફોટ સર્જાયો હતો
- કોલસાની ખાણમાં 20 મજૂરો કામ કરતા ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થયો
- પાકિસ્તાનના હરનાઈ જિલ્લાના હરદાલા વિસ્તારની ઘટના
પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે. જેના લીધે કોલસાની ખાણ ધસી પડી હતી. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થઈ ગયા હતા. જ્યારે આઠ લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના હરનાઈ જિલ્લાના હરદાલા વિસ્તારમાં બની હતી. જે સમયે દુર્ઘટના સર્જાઈ હતી તે સમયે ખાણનની અંદર 20 મજૂરો કામ કરી રહ્યા હતા.
આઠ મજૂરોને બચાવી લેવાયા
બલૂચિસ્તાનના ચીફ માઈન્સ ઈન્સ્પેક્ટર અબ્દુલ ગની બલોચના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગઈકાલે રાત્રે જ્યારે મિથેન ગૅસ વિસ્ફોટ થયો ત્યારે ખાણમાં 20 કામદારો હાજર હતા. તેમણે કહ્યું કે બચાવ કાર્ય પૂર્ણ થયું હતું. ટીમને ખાણની અંદરથી 12 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે આઠ ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મૃત્યુઆંકની પુષ્ટિ
બલોચે જણાવ્યું હતું કે રાત્રે બે મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બુધવારે વહેલી સવારે 10 મૃતદેહો મળી આવ્યા હતા. ખાણકામના મહાનિર્દેશક અબ્દુલ્લા શાહવાનીએ પણ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. દરમિયાન, વડા પ્રધાન શેહવાઝ શરીફે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સાંત્વના આપી હતી. પીએમએ ઘાયલોને તમામ શક્ય મદદ આપવાની પણ જાહેરાત કરી હતી. તેમજ કહ્યું કે આવા અકસ્માતો ખૂબ જ દુઃખદ છે.
બલૂચિસ્તાન પ્રાંત પાકિસ્તાનના કોલસા ઉત્પાદનમાં 50 ટકા યોગદાન આપે છે. જો કે, પાકિસ્તાનમાં ગેસના નિર્માણને કારણે ખાણ અકસ્માતો સામાન્ય છે. કામદારો ફરિયાદ કરે છે કે સલામતી ગિયરનો અભાવ અને કામ કરવાની નબળી સ્થિતિ વારંવાર અકસ્માતો માટેનું મુખ્ય કારણ છે.
અગાઉ પણ ઘટનાઓ બની છે
ગયા વર્ષે ડિસેમ્બરમાં, બલૂચિસ્તાનના ડુકી કોલફિલ્ડમાં એક ખાનગી ખાણમાં લાગેલી આગમાં બે કામદારોના જીવ ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તે જ સમયે, સપ્ટેમ્બરમાં, સિંધના જામશોરોમાં કોલસાની ખાણ તૂટી પડતાં ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. વર્ષ 2022માં હરનાઈ જિલ્લામાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં છ ખાણિયાઓના મોત થયા હતા.