પાડોશી દેશ એવા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ નેતા ઈમરાન ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. યુનિવર્સિટીએ આગામી ચાન્સેલરની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઈમરાન ખાનનું નામ નથી. આ અગાઉ ઈમરાન ખાનને જેલમાંથી આ પદ માટે અરજી કરીને સૌને ચોંકાવી દીધા હતા.
જો કે, ભારત માટે આ એક ખુશીની વાત છે કે આ વખતે ચાન્સેલરના પદની રેસમાં ત્રણ ભારતીય નામ સામેલ છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીની યાદીમાં ભારતીય મૂળના અંકુર શિવ ભંડારી, પ્રોફેસર નિરપાલસિંહ પૉલ બંઘાલ અને પ્રતીક તરવડીના નામ સામેલ છે. ઈમરાન ખાનના નામને અયોગ્ય ઠેરવવાના કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાનમાં તેઓની વિરુદ્ધ ચાલતા ગુનાહિત કેસોના લીધે ઈમરાન ખાનને આ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હશે.













