કેનેડાએ ગુરુવારે વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનાર ઓસ્ટ્રેલિયન ચેનલ પર દેશમાં પ્રતિબંધ મુક્યો છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી કેનેડાના દંભનો પર્દાફાશ થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા માત્ર દેખાડા માટે ફ્રી સ્પીચની વાત કરે છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે, જ્યારે ભારતીય કાઉન્સેલરો અને રાજદ્વારીઓની સુરક્ષા માટે કેનેડા પાસેથી મદદ માંગવામાં આવી ત્યારે કેનેડા સરકારે તેને ફગાવી દીધી હતી. ભારતીય રાજદ્વારીઓને ત્યાં દેખરેખ પર રાખવામાં આવ્યા હતા, જે ખોટું અને અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રી આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. વડાપ્રધાને પણ કેનેડામાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ત્યાંની સરકાર પાસે કાર્યવાહીની માગ કરી છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે વિદેશ મંત્રી

પ્રવક્તાએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીને મળ્યા અને બન્ને નેતાઓએ વિશ્વ શાંતિ અને પીસ એન્ગેજમેન્ટ અંગે ચર્ચા કરી છે. જયશંકરે ઓસ્ટ્રેલિયાના મંત્રીને કહ્યું કે, ભારત દરેક રીતે સહયોગ કરવા તૈયાર છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના CEO સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી અને ભારત-ઓસ્ટ્રેલિયા ફ્રેમવર્ક ડાયલોગ હેઠળ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટુડે ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેમણે કેનેડામાં હિન્દુઓ પર થયેલા હુમલાઓ વિશે વાત કરી હતી. આ ઈન્ટરવ્યુના પ્રસારણ બાદ કેનેડા સરકારે ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો.

અમેરિકા સાથે સારા સંબંધો

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ગયા વર્ષે ભારત અને અમેરિકા વચ્ચે 190 અબજ ડોલરનો વેપાર થયો હતો. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો સુધારવાની દિશામાં કામ ચાલુ રહેશે. જ્યાં સુધી વિઝા નીતિનો સંબંધ છે, તે ગતિશીલતા અને સ્થળાંતરનો મુદ્દો છે, જે બન્ને સરકારો વચ્ચે દ્વિપક્ષીય સંવાદનો એક ભાગ છે.

કોઈ ત્રીજા દેશને તેની સાથે કોઈ લેવાદેવા નથી

વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવવાથી ભારત-કેનેડા સંબંધો પર કોઈ અસર નહીં થાય. આ બે દેશો વચ્ચેનો મામલો છે અને કોઈ ત્રીજા દેશને તેની સાથે કોઈ લેવાદેવા નથી. પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોએ પાછા આવવું જોઈએ. ભારત પણ ગેરકાયદેસર સ્થળાંતર સ્વીકારતું નથી અને કાનૂની સ્થળાંતરને પ્રોત્સાહન આપે છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓને સુરક્ષા આપવી જોઈએ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ વિદેશ મંત્રાલયે ત્યાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ હુમલા કરવામાં આવ્યા. ભારતે બાંગ્લાદેશ સરકારને ત્યાંના ઉગ્રવાદી તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી બન્ને સમુદાયો વચ્ચે તણાવ ન થાય. ભારતે એમ પણ કહ્યું કે, હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે. હિન્દુ સંપત્તિઓની લૂંટના બનાવો પણ બન્યા છે જે નિંદનીય છે.

અફઘાનિસ્તાનના લોકો સાથે ભારતના જૂના સંબંધો

પ્રવક્તાએ કહ્યું કે, ભારતના સંયુક્ત સચિવ અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓને મળ્યા હતા. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માનવતાવાદી સહાય અને ચાબહાર બંદરનો વ્યવસાયિક ઉપયોગ શામેલ છે. ભારતે અફઘાનિસ્તાનને દવાઓ, ઘઉં અને જંતુનાશકો જેવી માનવતાવાદી સહાય પૂરી પાડી છે. અફઘાનિસ્તાનના લોકો અને સમુદાય સાથે ભારતના જૂના સંબંધો છે.


  • Follow us on: