• અમેરિકાના દાવા અંગે ટ્રુડોનું નિવેદન
  • અમેરિકાએ ભારતીય નાગરિક પર ગંભીર આરોપ લગાવ્યા
  • ભારતે આવા આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર :ટ્રુડો

અમેરિકી ન્યાય વિભાગે બુધવારે ભારતીય નાગરિક પર ગંભીર આરોપ લગાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ભારતને સલાહ આપી છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે અમે શરૂઆતથી જ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિશે વાત કરી રહ્યા છીએ. અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે ભારતે આવા આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે.

હકીકતમાં અમેરિકાના ન્યાય વિભાગે 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

જોકે અમેરિકી ડિપાર્ટમેન્ટે પન્નુનું નામ લીધું નથી પરંતુ તેનો સંદર્ભ પન્નુ તરફ જ છે. ગયા અઠવાડિયે જ બ્રિટિશ અખબારે એક અહેવાલમાં આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. સાથે જ અમેરિકાએ ભારતને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અગાઉ ટ્રુડોએ ભારત પર લગાવ્યા ગંભીર આરોપો

અમેરિકાએ ભારત પર આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે બે મહિના પહેલા સપ્ટેમ્બરમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં બોલતા આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ છે.ભારત સરકારે કેનેડાના આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા.

આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે: ટ્રુડો

 કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે જણાવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સે એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકન ધરતી પર ખાલિસ્તાની નેતાની હત્યાનું અસફળ કાવતરું ઘડ્યું હતું. યુનાઈટેડ સ્ટેટ્સનો આ આરોપ કેનેડાને સમાન આરોપોને ગંભીરતાથી લેવા માટે યાદ કરાવે છે.'

કેનેડાના ઓટાવામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રુડોએ વધુમાં કહ્યું હતું કે અમેરીકાથી આવી રહેલા સમાચારો એ તરફ ઈશારો કરે છે જેની વાત આપણે શરૂઆતથી કરી રહ્યા છીએ. ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે.

અમેરિકાએ શું આરોપ લગાવ્યો?

અમેરિકી ન્યાય વિભાગે કહ્યું છે કે 52 વર્ષીય ભારતીય નાગરિક જે ભારત સરકારના કર્મચારી પણ છે. તેણે ઉત્તર ભારતમાં અલગ શીખ રાષ્ટ્રની હિમાયત કરતા ન્યુયોર્ક શહેરના રહેવાસીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. વિભાગે પન્નુનું નામ નથી લીધું પરંતુ તે પન્નુ તરફ ઈશારો કરી રહ્યો છે કારણ કે ગુરવતપંત સિંહ પન્નુ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહે છે. વિભાગ અનુસાર, આ નાગરિક (નિખિલ ગુપ્તા) સુરક્ષા વ્યવસ્થાપન અને ગુપ્ત માહિતીની દેખરેખ રાખતો હતો.

નિખિલ ગુપ્તા પર એવો પણ આરોપ છે કે તેણે પન્નુની હત્યા માટે એક લાખ ડોલર આપવાનું વચન આપ્યું હતું. તેમાંથી 15 હજાર ડોલરની એડવાન્સ પેમેન્ટ 9 જૂન 2023ના રોજ કરવામાં આવી હતી. પરંતુ, આ કામ માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તે એક અમેરિકન એજન્સીનો ગુપ્તચર એજન્ટ હતો.

શું છે કેનેડાનો આરોપ?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં કેનેડાની સંસદ 'હાઉસ ઓફ કોમન્સ'માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંબંધના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.


  • Follow us on: