મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના કુવાઓમાંથી આશરે $1.55 બિલિયનના ગેસની ચોરી કરવાનો આરોપ છે. આ કેસની સુનાવણી 18 નવેમ્બરે થશે.
શું છે સમગ્ર મામલો?
અહેવાલ મુજબ બોમ્બે હાઇકોર્ટે 4 નવેમ્બરે સીબીઆઈ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી સામે તપાસની માગ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2004 અને 2013-14 દરમિયાન કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ONGC માલિકીના બ્લોક્સમાં બાજુના કુવા ખોદીને મોટાપાયે છેતરપિંડી કરી હતી. આનાથી ONGCના ક્ષેત્રોમાંથી ગેસ ચોરી થઈને રિલાયન્સના બ્લોક્સમાં ટ્રાન્સફર થઈ શક્યો. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે સીબીઆઈ અને સરકારને રિલાયન્સ અને તેના ડિરેક્ટરો સામે ચોરી, ઉચાપત અને વિશ્વાસ ભંગના કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે. અરજદાર દલીલ કરે છે કે આ કાવતરું મુંબઈમાં રચાયું હતું અને તેથી સીબીઆઈ પાસે તપાસ કરવાનો અધિકારક્ષેત્ર છે.
ONGCને 2013ની શરૂઆતમાં ગેસ ચોરીની શંકા હતી
રિપોર્ટમાં જણાવાયું છે કે અરજદારે કોર્ટને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો જપ્ત કરવા જણાવ્યું છે, જેમાં કરારો, તપાસ અહેવાલો અને એ.પી. શાહ સમિતિનો અહેવાલ શામેલ છે, જેમાં જણાવાયું છે કે ચોરાયેલા ગેસનું મૂલ્ય $1.55 બિલિયનથી વધુ હતું, જેમાં $174.9 મિલિયનનું વ્યાજ પણ હતું. આ મુદ્દો નવો નથી. ONGCને 2013ની શરૂઆતમાં ગેસ ચોરીની શંકા હતી અને તેણે સરકારને તેની જાણ કરી હતી. જોકે, રિલાયન્સે દલીલ કરી હતી કે ગેસ સ્થળાંતરિત પ્રકૃતિનો છે, એટલે કે તે કુદરતી રીતે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વહે છે, તેથી તેને કાઢવામાં કોઈ ખોટું કામ નહોતું.
અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ વિવાદમાં મધ્યસ્થી જીતી હતી
આ વર્ષની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ વિવાદમાં મધ્યસ્થી જીતી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટે 14 ફેબ્રુઆરીના રોજ આપેલા આદેશમાં આ નિર્ણયને રદ કર્યો હતો અને કહ્યું હતું કે તે જાહેર નીતિ અને ભારતના હિતોની વિરુદ્ધ છે. નોંધનીય છે કે અમેરિકન કન્સલ્ટન્સી ફર્મ ડીગોલિયર એન્ડ મેકનોટન (ડી એન્ડ એમ) ના એક અહેવાલમાં પુષ્ટિ મળી હતી કે રિલાયન્સે પરવાનગી વિના ઓએનજીસીના ક્ષેત્રોમાંથી ગેસ કાઢ્યો હતો.