અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બિલાસીયા ગામની સીમમાંથી મળી આવેલા મૃતદેહના મામલે કણભા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ દ્વારા આ હત્યાના ગુનામાં મૂળ રાજસ્થાનના ચંદુલાલ પટેલ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


શું હતી સમગ્ર ઘટના?

બિલાસીયા હત્યાકાંડની મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા બિલાસીયા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરૂષની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. મૃતકના મોઢા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા ઝીંકવામાં આવ્યા હતા, જે દર્શાવતું હતું કે, આ એક ક્રૂર અને ઘાતકી હત્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કણભા પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુધી પહોંચી પોલીસ

પોલીસ તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો હતો. બાતમીદારો પાસેથી મળેલી વિગતો અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે શંકાસ્પદ ચંદુલાલ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ચંદુલાલ પટેલ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો વતની છે.

હત્યા પાછળનું કારણ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી અને મૃતક બંને એકબીજાના પરિચિત હતા. ઘટનાના દિવસે કોઈ બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, આવેશમાં આવીને ચંદુલાલે હથિયાર વડે હુમલો કરી દીધો અને નિર્મમ હત્યા નિપજાવી હતી. હાલમાં કણભા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ?


આ પણ વાંચો - Ahmedabad News: સાણંદ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો


  • Follow us on: