અમદાવાદના નારોલ વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નારોલની બાગે કૌશર સોસાયટીમાં પત્નીને તેડવા ગયેલા 27 વર્ષીય જમાઈએ ઉશ્કેરાટમાં આવી પોતાના સસરાની ઘાતકી હત્યા કરી નાખી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક અજીજભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી પિયરમાં રહેતી હતી. આરોપી જમાઈ તેને લેવા માટે સાસરીમાં આવ્યો હતો. જોકે, પત્નીને સાસરે કેમ નથી મોકલતા તે બાબતે સસરા અજીજભાઈ અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ જમાઈ પોતાના ઘરે ગયો હતો અને ત્યાંથી પોતાના ભાઈને સાથે લઈને પરત સાસરીમાં આવ્યો હતો. આવેશમાં આવી જમાઈ, તેના ભાઈ અને માતાએ મળીને અજીજભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે અજીજભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.













