ભાવનગર તાલુકાના સોડવદરા ગામમાં લોકોના જીવ જોખમમાં મૂકીને મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને વરતેજ પોલીસે ઝડપી લીધો છે. પવિત્ર રામજી મંદિર પાસે ક્લિનિક ખોલીને બેઠેલા આ બોગસ ડોક્ટર પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક સારવાર આપતો હોવાનું બહાર આવ્યું છે.
બાતમીના આધારે પોલીસની કાર્યવાહી
વરતેજ પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સોડવદરા ગામમાં મેહુલભાઈ પરમાર નામનો વ્યક્તિ કોઈ પણ શૈક્ષણિક લાયકાત કે ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડતા ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે આરોપી મેહુલ પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













