ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર ગત રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાઠીથી અમદાવાદ જઈ રહેલી એક જાનના જાનૈયા દ્વારા પાંજરાપોળ પાસે આવેલી નાસ્તાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જાનૈયાઓ દ્વારા આતંક મચાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, લાઠીથી અમદાવાદ તરફ જઈ રહેલી જાનના જાનૈયાઓ વલ્લભીપુર અમદાવાદ રોડ પર આવેલી 'ખોડિયાર નાસ્તા હાઉસ' પાસે રોકાયા હતા. કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાયેલા જાનૈયાઓના ટોળાએ નાસ્તાની દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આટલેથી ન અટકતા, આક્રમક બનેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી રોડને બાનમાં લીધો હતો.




પોલીસે મામલો થાળે પાડ્યો

ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તુરંત પોલીસને કરવામાં આવતા વલ્લભીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. લગ્નના હર્ષોલ્લાસ વચ્ચે જાનૈયાઓના આવા તોફાની વર્તનને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.


આ પણ વાંચો - Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા


  • Follow us on: