મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાહોદ નજીક આવેલા મધ્યપ્રદેશના અડવાડા ગામે એક માતાએ પોતાના ત્રણ માસૂમ સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ઘટનામાં ત્રણેય સંતાનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે માતાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
અગમ્ય કારણોસર ભર્યું આત્મઘાતી પગલું
ઘટનાની મળતી માહિતી અનુસાર, અડવાડા ગામમાં રહેતા નૂરીબેન ભાભોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમણે પોતે ઝેર પીતા પહેલા પોતાના ત્રણેય સંતાનોને પણ ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકોના મોત થયા હતા.













