રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. જેતપુર-રબારીકા રોડ પર આવેલ એમ. જે. ઉદ્યોગનગર પાસેની એક અવાવરું જગ્યામાંથી એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યો છે કે, જેનાથી હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે.
ચાદરમાં લપેટાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ
ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુર-રબારીકા રોડ પરથી પસાર થતા લોકોને અવાવરું જગ્યામાં કંઈક શંકાસ્પદ હોવાનું જણાતા તપાસ કરવામાં આવી હતી. જ્યાં એક ચાદરમાં બાંધેલી હાલતમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકારે ફેંકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.













