રાજકોટ પોલીસ ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરામાં આવી છે. શહેરના એક વેપારી હરેશ કારેલિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે, 60 કિલો ચાંદીના મામલે તેમણે આપેલી અરજી પર પોલીસે કોઈ યોગ્ય તપાસ કરી નથી. વેપારીનો આક્ષેપ છે કે તેમણે ચાંદી અને પૈસાની ચૂકવણી કરી દીધી હોવા છતાં તેમની પાસેથી સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે વેપારીએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે.
વરદી પર સવાલ
આ ઘટનાની ગંભીરતા જોતા વેપારીએ રાજકોટ પોલીસ કમિશનર (CP), ડીસીપી (DCP), પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત કુલ છ પોલીસ અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની અરજીને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ તમામ અધિકારીઓને આગામી 27 જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવા માટે હુકમ કર્યો છે. એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થતા રાજકોટ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને ચર્ચાઓ જાગી છે.













