મોરબી શહેરમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાનમાં આવી છે. નવલખી રોડ પર આવેલ એક ખાનગી હોલમાં રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની બાતમી મળતા જ VHP ના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.


100 થી વધુ લોકોની હાજરીમાં પ્રાર્થના સભા

ઘટનાની મળતી વિગતો અનુસાર, નવલખી રોડ પરના એક હોલમાં રવિવારની રજાના દિવસે 100 થી વધુ લોકો એકઠા થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે, ક્રિશ્ચન ધર્મ સાથે જોડાયેલા લોકો દ્વારા સ્થાનિકોને લાલચ આપીને અથવા લોભ-લાલચ બતાવીને ધર્મ પરિવર્તન કરાવવાની કવાયત ચાલી રહી હતી. આ સભામાં પ્રાર્થનાના બહાને લોકોને અન્ય ધર્મ તરફ વાળવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.

VHP દ્વારા પોલીસ કાર્યવાહીની માગ

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચીને આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. VHP ના હોદ્દેદારોનું કહેવું છે કે, આ પ્રકારે ચોરીછૂપીથી થતા ધર્માંતરણ સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. હાલમાં આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ પોલીસ મથકે પહોંચી છે અને વિધિવત ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને જોતા મોરબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોલમાં હાજર લોકો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને ત્યાં ખરેખર શું પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તનના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Morbi News : મોરબીમાં અસામાજિક તત્વોએ 15 જેટલી કારના તોડયા કાચ, પોલીસની સામે સ્થાનિકોમાં ભારે રોષ


  • Follow us on: