હળાહળ કળિયુગની પ્રતીતિ કરાવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતો ગંભીર બનાવ મોરબીમાં સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે મોરબીની સેવાભાવી સંસ્થામાં આશ્રય મેળવનાર અસ્થિર મગજની એક યુવતી અને એક વૃદ્ધાની બે હવસખોરોએ લાજ લૂંટી હેવાનીયતની હદ વટાવી દીધી હતી. પોલીસે તાત્કાલિક તમામ તાકાત કામે લગાડી બન્ને નરાધમોને દબોચી લીધા હતા.
પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી
સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી એક યુવતી અને એક વૃદ્ધા સાથે અજુગતું બન્યાનું જણાતા સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસમાં રૂમના બાથરૂમની બારી તૂટેલી હોવાનું અને બન્ને ભોગ બનનાર સાથે અઘટિત ઘટના બની હોવાનું સ્પષ્ટ બનતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે નરપિશાચોની તપાસ શરૂ કરતા બન્નેની ઓળખ મળી જતા આરોપી ડાયા ખાનભાઈ ચૌહાણ અને આરોપી હરેશ જીવાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીઓની પૂછતાછમાં પોલીસ પણ ચોંકી ઉઠે તેવી હકીકત સામે આવી હતી. બન્ને આરોપીઓ ક્યા રહે છે અને શું કામ ધંધો કરે છે ઉપરાંત સમગ્ર ગુનાને કઈ રીતે અંજામ આપ્યો તેની વિગતો મેળવવા તથા પુરાવા એકઠા કરવા પોલીસે કાર્યવાહી આગળ વધારી છે.













