મોરબી શહેરમાં થોડા દિવસો પૂર્વે થયેલી યુવાનની ચકચારી હત્યાના કેસમાં હવે ન્યાયની માગ બુલંદ બની છે. તાજ મોહમ્મદ ભટ્ટી નામના યુવકનું અપહરણ કરી, તેની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી દાટી દેવાના બનાવથી સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. આ મામલે આજે સુન્ની મુસ્લિમ કસબા જમાત (મિયાણા સમાજ) દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.


કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

જમીન અને નાણાકીય લેતીદેતીના ડખ્ખામાં થયેલી આ હત્યાને લઈને સમાજના લોકોમાં ભારે આક્રોશ છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

5 આરોપી ઝડપાયા, 2 હજુ પણ ફરાર

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બે મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. મુસ્લિમ સમાજે માગ કરી છે કે, તમામ આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને કડકમાં કડક સજા ફટકારવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.

પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. સમાજની રજૂઆત બાદ તંત્રએ પણ ખાતરી આપી છે કે, આ કેસમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.


આ પણ વાંચો - Morbi : જમીનના મામલે હત્યા કરીને મૃતદેહ સળગાવી જમીનમાં દાટી દેવાના ચકચારી કેસમાં 5 આરોપી ઝડપાયા


  • Follow us on: