રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી અને નૈતિકતાના પતનનો કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ, એક વ્યક્તિના મૃત્યુ બાદ 108 ના કર્મચારીઓએ મૃતક પાસે રહેલા રૂપિયા 19,800 ની રોકડ રકમ સિવિલ હોસ્પિટલના ફરજ પરના સ્ટાફને સુપરત કરી હતી. જોકે, જ્યારે મૃતકના સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા અને આ રકમની માંગણી કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે આ નાણાં ગાયબ હતા. હોસ્પિટલના સત્તાધીશો અને કર્મચારીઓએ આ બાબતે કોઈ પણ જવાબદારી લેવાને બદલે હાથ અધ્ધર કરી લેતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
હોસ્પિટલ બન્યું લૂંટારુઓનો અડ્ડો?
આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્રની સુરક્ષા અને કર્મચારીઓની પ્રામાણિકતા સામે મોટા સવાલો ઉભા થયા છે. એક તરફ પરિવાર પોતાનો સ્વજન ગુમાવ્યાના આઘાતમાં હતો, ત્યારે બીજી તરફ હોસ્પિટલ પરિસરમાંથી જ થયેલી આ ચોરીએ તંત્રની પોલ ખોલી દીધી છે. અંતે, ન્યાયની આશા સાથે મૃતકના સગાઓએ ગોંડલ પોલીસ મથકમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે હોસ્પિટલના કયા 'સફેદ ડગલા' પાછળ છુપાયેલા ચોરે આ નીચું કૃત્ય કર્યું છે.













