સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી 16 વર્ષની સગીરાની છેડતી કરવામાં આવી હતી. જોકે, આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ નરાધમ રત્નકલાકારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વિદ્યાર્થિની પોતાની શાળાએથી અભ્યાસ પૂર્ણ કરી પગપાળા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં સંદીપ ગોટી નામના શખ્સે તેની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હતી. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ ઘરે પહોંચીને તુરંત જ પોતાના પરિવારના સભ્યોને આપવીતી જણાવી હતી.













