સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
17 ડમ્પર અને 2 એક્સવેટર મશીનો જપ્ત
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને બાતમી મળી હતી કે, સાયલાના મોટા કેરાળા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. મળેલી બાતમીના આધારે અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પરો અને 2 લોડર/એક્સવેટર મશીનો મળી આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વાહનો અને મશીનરી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













