વાવ થરાદ જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલ જાણે આત્મહત્યા અને અકસ્માતો માટે 'મોતની કેનાલ' બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે. થરાદ નજીક આવેલી નર્મદા કેનાલના ચુડમેર પુલ પાસેથી એક 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટી પડ્યા હતા.
ફાયર ટીમે 1 કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની બાતમી મળતા જ થરાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચુડમેર પુલ પરથી યુવકના ચંપલ મળી આવ્યા હતા, જેના આધારે ફાયર ફાઈટરોની ટીમે કેનાલના ઊંડા પાણીમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.













