સુરતની કુખ્યાત ગેંગના 2 સોપારી કિલરને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, આ બંને આરોપી અગાઉ બે હત્યા તેમજ એટીએમ ચોરી જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આ નાસ્તા ફરતા બંને સોપારી કિલર રાજકોટમાં કામ ધંધો મળી રહે તેમજ છુપાવવા માટેનું નવું સ્થળના ઉદ્દેશથી આવ્યા હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે હથિયાર સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની કઈ કુખ્યાત ગેંગના સભ્ય છે?
સુરતમાં અનિલ કાઠી નામની કુખ્યાત ગેંગ છે. આ ગેંગનું મુખ્ય કામ સોપારી કિલિંગનું છે. આ ગેંગ 10 લાખ રૂપિયામાં હત્યા સહિત અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિની સોપારી લે છે. ત્યારે આ ગેંગના ધર્મેન્દ્ર ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફે આનંદસિંગ રાજપુત હત્યા અને એટીએમ ચોરી જેવા ગુનાઓને અંજામ આપી નાસ્તા ફરતા હતા, ત્યારે તેઓ રાજકોટમાં કામ ધંધો મળી રહેશે અને પોલીસથી છુપાવવા માટેનું નવું ઠેકાણું મળી રહેશે તે હેતુથી તેઓ રાજકોટ આવ્યા હતા, પરંતુ આ અંગેની બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળતા બંનેની અટકાયત કરી હતી. જેમાં તેમના પાસેથી હથિયાર પણ મળી આવ્યું હતું.
અત્યાર સુધી ક્યાં ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે?
સુરતની અનિલ કાઠી ગેંગનો ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવે લીમડીમાં વર્ષ 2021માં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જે અંતર્ગત સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાં 7 દિવસના વચગાળાના જામીન મળતા ફરાર થઈ ગયા હતો. ત્યારબાદ વર્ષ 2023માં બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલના મર્ડર કેસમાં આ બંનેની સંડોવણી હતી, જેમાં તેમને મફાભાઈ પટેલના મર્ડર બદલ 10 લાખ રૂપિયાની સોપારી લીધી હતી. ઉપરાંત આ બંને દ્વારા ભરૂચ અને મહારાષ્ટ્રમાં એટીએમ ચોરીની ઘટનાને પણ અંજામ આપ્યો હતો.
રાજકોટ આવવાનું મુખ્ય કારણ શું હતું?
કુખ્યાત અનિલ કાઠી ગેંગના આ બંને સોપારી કિલર હત્યા, એટીએમ ચોરી જેવા ગુનાઓને અંજામ આપી પોલીસ પકડથી બચવા માટે ઉત્તર ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં રહેતા હતા. જ્યાં સુધી તેમને પોતાની ગેંગમાંથી નવા કામ માટેનો કોન્ટ્રાક્ટ ન મળે ત્યાં સુધી તેઓ કોઈ પણ સલામત સ્થળે રહેવાનું પસંદ કરતા હતા, જેથી આ બંને રાજકોટમાં કામકાજ કરી પોલીસ પકડથી દૂર રહેવા માટે આવ્યા હતા અને જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટ ન મળે ત્યાં સુધી તેઓ રાજકોટ રહેવાના હતા. પરંતુ આ અંગેની ચોક્કસ બાતમી મળતા પોલીસે બંનેની અટકાયત કરી છે.