ભાવનગરના વલ્લભીપુરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે, એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે, ટ્રક ચાલકે કારને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર આ ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે.


વલ્લભીપુર અમદાવાદ હાઇવે પર સર્જાયો અકસ્માત

ગઈકાલે વલ્લભીપુર અમદાવાદ હાઇવે પર કાનપર ગામ પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે, હાલ અમદાવાદ રહેતા પોતાના વતન બાબરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે ટ્રકે ફૂલ સ્પીડમાં પાછળથી કારને ટક્કર મારી હતી અને તેના કારણે કાર ફંગોળાઈ અને 3 લોકોના મોત થયા છે, આધેડનું ઘટના સ્થળે અને અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે, પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

ગામડે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી

બાબરામાં દયારામ પાર્ક સોસાયટી ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા (ઉં.વ. 80) તથા પૌત્ર જયભાઈ જીતુભાઈ બોરસાણીયા (ઉં.વ. 30) તથા સગર્ભા પૌત્રવધુ એકતાબેન જયભાઈ બોરસાણીયા (ઉં.વ. 28) ગઈકાલે તા. 30મીએ સાંજે અમદાવાદથી પોતાની કારમાં બાબરા આવવા નીકળ્યા હતા. જેમાં પૌત્રવધુ એકતાબેનનો 4 દિવસ બાદ તા. 4ના રોજ સીમંત પ્રસંગ હોવાથી બાબરા આવતા હતા. પરંતુ તેઓ વલ્લભીપુરના કાનપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે આઈસર ટ્રકના ડ્રાઈવરે કારને હડફેટે લેતા ઉદ્યોગપતિ ભુપતભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો પણ નોંધ્યો છે.

 

  • Follow us on: