ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે.આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.


મોટી સંખ્યામાં આવશે ભકતો

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

મહોત્સવને લઈ કરાઈ ચર્ચા

આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ૫૦૦ થી વધુ બસનું સંચાલન, સ્વચ્છતા જળવાય, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા સમગ્ર કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

  • Follow us on: