- પશુ ખાણદાણમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય
- કેમિકલ, બેન્ટોનાઈટ માટી જેવી ચીજોની થાય છે મિલાવટ
- ફોજદારી પગલાની પણ કાર્યવાહી કરવાનો નિર્ણય
રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વહેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે ફોજદારી પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં ભરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, આજે ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણ કરતા હોવાથી સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા સરકારને આજે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે પૂરવઠા અને પોલીસ વિભાગ, વિવિધ એસોસીએશન સહિત તમામને સાથે લઇને ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને ફોજદારી સુધીની કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.













