AMC વધુ એક વખત સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ કરાશે, જી હા હવે સાબરમતી નદીની સાફ-સફાઈ પાછળ ફરીથી કરોડોનો ખર્ચ કરવાનો નિર્ણય AMCએ લીધો છે અને અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીનું પ્રદૂષણ મુક્ત કરવા માટે ફરીથી સાફ-સફાઈ શરૂ કરવામાં આવી છે. ત્યારે વાસણા બેરેજથી લઈને સાબરમતી નદીના પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સાબરમતી નદીનું પાણી ખાલી થતાં પહેલી નજરે જ જોતા, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જ જોવા મળ્યા છે.
તંત્ર સામે આ એક મોટો સવાલ?
તમને જણાવી દઈએ કે સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ અગાઉ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જો કે થોડા દિવસોમાં જ સાબરમતી નદી પ્રદૂષિત થઈ ગઈ હતી, તો બીજીવાર કરવામાં આવેલા ખર્ચ બાદ સાબરમતી નદીની તકેદારી અને પ્રદૂષિત થતી કેવી રીતે અટકાવે છે, તે એક મોટો સવાલ તંત્ર સામે ઉભો થઈ રહ્યો છે. જો કે હાલ તો સાબરમતી નદી ખુલ્લા મેદાન જેવી પાણીનો નિકાલ કરીને કરી નાખવામાં આવી છે અને કચરો સાફ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ આજથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ શરૂ કરાયું છે, બેરેજના ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી કરાશે.
અમદાવાદની સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય
ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ અમદાવાદની સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સાબરમતી નદીના અસ્તિત્વ સામે ગંદકીનું સંકટ તોળાઈ રહ્યું છે. સાબરમતી નદી કે લીલવાળા પાણીનું તળાવ કહેવું પણ મુશ્કેલ છે. નદીમાં થતો કચરો, લીલને હટાવવામાં તંત્રને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. સાબરમતી નદીમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.