અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મિત્રો સાથે ઝઘડો કરી બેફામ કાર ચલાવીને પાંચ લોકોને ઇજા પહોચાડનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મસાલો ખાવા અને પાનપાર્લર ના 1000 રુપિયા આપવાની બાબતે મિત્રો સાથે થયેલ ઝઘડા બાદ આરોપીએ પુરપાટ ઝડપે કાર ચલાવી લોકોને અડફેટે લીધા હતાં. જોકે અકસ્માત સર્જ્યા બાદ મિત્ર સાથે મળીને ઇજાગ્રસ્તના ભાઈને ધમકી પણ આપી હતી. જે અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ હરદાસનગર પોલીસ ચોકી પાસે 30મી માર્ચના મોડી સાંજે એક નબીરાએ પુરઝડપે ગાડી હંકારી અકસ્માત સર્જી પાંચ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. જો કે કારચાલક રાજસ્થાનના ઉદ્દયપુર ફરાર થઇ ગયો હોવાની જાણ થતાં જ પોલીસએ ઉદયપુરથી તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપી હેમંતસિંગ ઉર્ફે કરણસિંગ રાજપુતની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બનાવના દિવસે સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ પાર્લર પર મસાલો ખાવા માટે ગયા હતા. જ્યાં મસાલો ખાવા બાબતે તેમજ રૂપીયા 1 હજારની લેતીદેતીમાં ઝઘડો તકરાર થઇ હતી. બુમાબુમ થતાં આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. જેથી તેઓ એકબીજાથી બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતાં. અને આરોપીએ પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.













