ગુજરાતમાં સોમવારે વાતાવરણમા પલટો આવવાથી ભારે પવન અને કરા સાથે અનેક ઠેકાણે વરસાદ નોંધાયો હતો. પવનને કારણે ઝાડ અને વીજ પોલ પડી જવાના તેમજ મકાન અને દુકાનોના છાપરા ઉડી જવાના અનેક બનાવો સામે આવ્યા હતાં. ત્યારે અમદાવાદમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. સોમવારે ફાયર વિભાગને ઈમર્જન્સીમાં બચાવના 22 કોલ મળ્યા હતાં.


ઈમર્જન્સી બચાવના 22 જેટલા કોલ મળ્યા

અમદાવાદના ફાયર વિભાગને સોમવારે ઈમર્જન્સી બચાવના 22 જેટલા કોલ મળ્યા હતાં. જેમાં શહેરમાં આગ લાગવાના 3 બનાવો, હોર્ડિંગ્સ પડ્યાના બે બનાવો, ઝાડ પડ્યાના 19 બનાવો અને એક વીજપોલ ધરાશાયી થયો હોવાના કોલ મળ્યા હતાં. ગણતરીના કલાકોમાં મળેલા વિવિધ કોલથી ફાયર વિભાગના અધિકારીઓ સતત દોડતા રહ્યા હતાં.

વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો

અમદાવાદમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. જેમાં અનેક ઠેકાણે ઝાડ પડી જવાના અને દિવાલ ધરાશાયી થવાના બનાવો બન્યાં હતાં. આ ઉપરાંત વરસાદમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. શહેરમાં અસલાલી વિસ્તારમાં લોખંડની સીડી ઉભી કરતા લાગેલા કરંટથી બે લોકોના મોત થયા હતાં અને બે લોકોને ઈજા પહોંચી હતી. 

  • Follow us on: