તારીખ 02 જૂન 2025ના રાત્રે લગભગ 10:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશનના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમિયાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરીને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીની વર્દીમાં જોવા મળ્યો. શંકા જતાં પૂછપરછ કરતાં તે વ્યક્તિ સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો અને તે પોલીસના હાથે ઝડપાયો હતો.


લોકો પાસેથી ટિકિટના નામે પડાવતો હતો રૂપિયા

ઝડપાયેલ આરોપીને પોલીસ સ્ટેશન લાવીને જ્યારે ઊંડી પૂછપરછ કરવામાં આવી,તો તેણે તેનું નામ શિવ શંકર જયસ્વાલ, પુત્ર છોટેલાલ જયસ્વાલ ઉંમર 45 વર્ષ નિવાસી સુંદરપુર ,વારાણસી ઉતરપ્રદેશ જણાવ્યું હતુ, પૂછપરછમાં ઉક્ત વ્યક્તિ એ સ્વીકાર્યું કે તે નકલી રીતે ટીટીની વર્દી પહેરીને મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને કયુઆર કોડના માધ્યમથી તેમની પાસેથી રકમ વસૂલે છે, આ પહેલા પણ તારીખ 30.05.2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આ જ રીતે કાર્યવાહી કરતો જોવા મળ્યો હતો.

ઓછા ભણેલા લોકોને કરતો હતો ટાર્ગેટ

ચેકિંગ દરમિયાન તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ પત્ર(આઈડી કાર્ડ) કે ઇએફટી મળ્યું નહોતું. તેની પાસે ફક્ત એટીએમ કાર્ડ અને આધારકાર્ડ મળ્યા. પૂછપરછમાં એ પણ જોવા મળ્યું કે તે વિભિન્ન રેલવે સ્ટેશનો પર મજૂરવર્ગ અને ઓછા ભણેલા પ્રવાસીઓને નિશાન બનાવીને, ટિકિટમાં ક્ષતિ બતાવીને અથવા વેઇટિંગ લિસ્ટ ના મુસાફરો ને બર્થ આપવાના નામે કયું આર કોડ સ્કેન કરીને રકમ વસુલતો હતો.

ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક પહેરતો

શંકાસ્પદે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર માસ્ક લગાવ્યો હતો. આ વ્યક્તિને વધુ કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે ફક્ત અધિકૃત અને ઓળખાયેલ ટિકિટ નિરીક્ષકોને જ તેઓ તેમની ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ રેલવે પોલીસ અથવા સંબંધિત અધિકારીને કરે. 

  • Follow us on: