• આતંક મચાવનાર કપિરાજને વન વિભાગની ટીમે મહામહેનતે પાંજરે પૂર્યો

  • કપિરાજે છેલ્લા 30 દિવસમાં 15થી વધુ લોકોને બચકા ભરી કર્યા હતા ઈજાગ્રસ્ત
  • વાનરોના આતંકથી મહિલાઓ અને બાળકો હતા ભયભીત

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કપિરાજ આખરે આજે પાંજરે પૂરાયા છે. શહેરના વસ્ત્રાલમાં આતંક મચાવીને કપિરાજે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો, હવે આ કપિરાજને વન વિભાગે મહામહેનતે પાંજરે પૂર્યો છે અને સ્થાનિકોને ભયમુક્ત કરી દીધા છે.

છેલ્લા 30 દિવસમાં 15થી વધુ લોકોને બચકા ભરી કર્યા હતા ઈજાગ્રસ્ત

તમને જણાવી દઈએ કે છેલ્લા 30 દિવસથી કપિરાજે વિસ્તારમાં જાણે કે પોતાનો કબ્જો જમાવી લીધો હતો અને સમગ્ર વિસ્તારને પોતાની બાનમાં લીધો હતો અને અત્યાર સુધી 15થી વધુ લોકોને બચકા ભરીને કપિરાજે ઈજાગ્રસ્ત કર્યા હતા. વાનરોના આતંકથી મહિલાઓ અને બાળકો ખુબ જ ભયભીત જોવા મળતા હતા અને ઘરેથી કોઈ પણ જગ્યાએ એકલા જતા ડરતા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં 9 વાનરોના વસ્ત્રાલ વિસ્તારમાંથી વનવિભાગે રેસ્ક્યુ કર્યા છે.

કપિરાજે ગઈકાલે જ એક બાળકી પર કર્યો હતો હુમલો

વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ એક કપિરાજને જંગલખાતાની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની હતી.

આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા

મળતી માહિતી અનુસાર 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડતી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ પણ આ સમસ્યા વધતા તંત્રને પણ વારંવાર રજૂઆતો કરી હતી અને ત્યારબાદ તંત્ર એક્ટિવ મોડમાં આવ્યુ અને કામે લાગ્યુ હતું, જો કે આખરે આતંક મચાવનારા કપિરાજને પાંજરે પૂરતા વન વિભાગના અધિકારીઓ અને આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.


  • Follow us on: