ભાવનગરના વલ્લભીપુરના તોતણીયાળા ગામે 8.5 કરોડના ખર્ચે બનેલા નાળામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. તો હાલમાં પાયાનું કામ ચાલુ હોવા છતાં, નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ ભ્રષ્ટાચારમાં મોટા માથા અને જવાબદાર અધિકારીઓનો હાથ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે.


ભ્રષ્ટાચારનો ગ્રામજનોનો આક્ષેપ

સ્થાનિકોએ ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ લગાવ્યો હતો કે, નાળાના નિર્માણકાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને સંબંધી જવાબદાર તંત્રના કર્મચારીઓની મિલીભગત હોવાની શંકા છે. જે બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી હોવા છતા કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. તો કોન્ટ્રાક્ટર પણ પોતાની મનમાની કરી રહ્યો છે. તેવો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો હતો.

ડાયવર્ઝનની નથી વ્યવસ્થા

નાળા મુદ્દે ગ્રામજનોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો કે, નાળા કામના કારણે ખેતરો તરફ જવા માટે કોન્ટ્રાકટર દ્વારા ડાયવર્ઝન વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેના કારણે આવનારી ખેતીની સિઝન નિષ્ફળ જવાના સંજોગો સર્જાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મુદ્દે તંત્ર કોઈ યોગ્ય પગલા લે તે અંગે ગ્રામજનોએ માંગણી કરી હતી. ગામના લોકોએ જણાવ્યું કે, તાત્કાલિક ધોરણે આ કામગીરીની તપાસ કરવામાં આવે. તેમજ ભ્રષ્ટ લોકોને સજા કરવાની માંગણી ગ્રામજનોએ કરી હતી. ખેડૂતોએ પીડા ભોગવવી ન પડે તે માટે યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા ઊભી કરવાની માંગણી ગામના લોકોએ કરી હતી. 

  • Follow us on: