• ભાવનગરમાં ગેસપંપ પર કારમાં આગ

  • અચાનક જ સળગી ઉઠી કાર
  • લોકોમાં મચી ગઈ અફરાતફરી

ભાવનગરમાં એક પેટ્રોલપંપ પર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં ગેસ ભરાવવા માટે આવેલી એક સીએનજી કાર અચાનક જ ધૂ ધૂ કરતા સળગી ઉઠી હતી. કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેના પછી પેટ્રોલપંપ પર હાજર લોકો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી.

પેટ્રોલપંપ પર એક નાની અમથી ચિનગારી પણ ઘણીવાર જાનલેવા દુર્ઘટનાનું કારણ બની શકે છે, પરંતુ ભાવનગરના નારી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમના ગેસ પંપ પર એવી ઘટના બની હતી જેના લીધે ત્યાં હાજર દરેક લોકોના જીવ થોડા સમય માટે પડીકે બંધાઈ ગયા હતા. એક પેટ્રોલ રિફ્યુલિંગ માટે આવેલી સીએનજી કાર અચાનક જ સળગી ઉઠતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને લોકો આમતેમ જ્યાં જગ્યા મળે તે દિશામાં કારથી દૂર થઈ જવા માટે ભાગ્યા હતા.

આ બનાવ અમદાવાદથી ભાવનગર રોડ પર આવતા વચ્ચે નારી ચોકડીનો વિસ્તાર છે ત્યાં બનવા પામ્યો હતો. અહીં ભારત પેટ્રોલિયમનો સીએનજી પંપ આવેલો છે. તેમાં એક કાર ગેસ પૂરાવવા માટે અહીં આવી હતી. ત્યારે અચાનક જ તેમાં ગેસ ભરવાનું ચાલુ હતું ત્યારે કોઈ ટેક્નિકલ કારણોસર ગાડીમાં આગ લાગી હતી. થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધૂમાડાના ગોટે ગોટા ઊંચે ચડ્યા હતા. આ દરમિયાન આસપાસ ઉભેલા અન્ય લોકો અને સ્ટાફ કર્મચારીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

જો કે સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયા હોવાના અહેવાલ નથી. તથા આસપાસના લોકોમાં પણ કોઈને નુકસાન થયું હોવાનું સામે આવ્યું નથી. જો કે સીએનજી પંપ પર અચાનક આગ લાગવાથી મોટી જાનહાનિ થવાનો ભય હતો. પરંતુ તેમ ન થતાં આખરે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • Follow us on: