સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો વીડિયો સામે આવ્યો હતો જેમાં વૃદ્ધ દર્દી હોસ્પિટલના કેમ્પસમાંથી મળી આવ્યા હતા અને સારવાર કરવા માટે નવ કલાકથી વધુનો સમય લાગ્યો હોવાની વાત સામે આવી છે, CMOએ RMOને દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું પરંતુ વૃદ્ધ દર્દીને દાખલ કરવા માટે રેસિડેન્ટ તબીબો ન માન્યા અને તબીબ અધિકારીના આકરા વલણ બાદ દાખલ કરાયા હતા જોકે દર્દી હાલ વેન્ટિલેટર પર જીવન-મરણના જંગે છે.
રેસીડેન્ટ તબીબો સામે કાયદેસરના પગલા પણ લેવામાં આવ્યા
નવી સિવિલના રેસિડેન્ટ તબીબોની ફરી બેદરકારી સામે આવી છે. રેસિડેન્ટ તબીબો જાણે પોતાને સિવિલના ઉચ્ચ અધિકારી સમજતા હોય તેમ અધિકારીઓ સાથે પણ ઉદ્દતાઇ ભર્યા વર્તનો કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ફરી રેસિડેન્ટ તબીબોના લીધે સારવાર માટે આવેલ દર્દીને ૬ કલાક સુધી ચલકચલાણું કરાવવામાં આવ્યું છે. હાલ દર્દીની તબિયત ગંભીર બની છે. જોકે સિવિલ તંત્ર દ્વારા ઘોર બેદરકારીને પગલે રેસીડેન્ટ તબીબો સામે કાયદેસરના પગલા પણ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે
છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે. બુધવારે વહેલી સવારે અજાણ્યા દર્દીને ચોથા વર્ગના કર્મી દ્વારા ટ્રોમા સેન્ટરની બહારથી ઈમરજન્સીમાં લઈ સારવાર માટે લવાયું હતું. તપાસ બાદ સીએમઓ દ્વારા દર્દીને ઓર્થો અને સર્જરીમાં રિફર કરવામાં આવ્યું હતું. જોકે દર્દી સોનોગ્રાફીમાં મોકલ્યા બાદ સવારે ૯ વાગ્યે પીએમ રૂમ પાસે રઝળતું મળ્યું હતું. મંગળવારે સાંજે ગુમ થયેલા આ દર્દીને શોધતા પરિવારજનો સિવિલમાં આવતા દદી પીએમ રૂમ પાસે મળ્યું અને દર્દીનું નામ કિશોરભાઈ સોમાભાઈ રાઠોડ(રહે, ૬૫ બ્લુ સ્ટાર એપાર્ટમેન્ટ, ઘોડદોડ) સામે આવ્યું હતું.
દર્દી સારવાર માટે રઝળી ગયો
દર્દીના સગા સુધીરભાઈએ મેડિસીન અને ઓર્થો વિભાગના રેસિડેન્ટ તબીબો અને સ્ટાફ દ્વારા એકબીજાને ખો આપીને અલગ અલગ વિભાગમાં ચલકચલાણું કરાવવામાં આવી રહ્યું હતું. વહેલી સવાર થી બપોરના બે વાગ્યા સુધી રેસીડેન્ટ તબીબો દ્વારા ઉચ્ચ અધિકારીઓના આદેશોનું ટેલિફોનીક ઉલ્લંઘન કરીને રઝળપાટ થઈ રહ્યો હતો. દર્દીને બે બે વખત ઓર્થોમાં દાખલ કરવાનું કહેતા હાજર રેસિડેન્ટ તબીબો દ્વારા પરિવાર સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા રેસિડેન્ટ તબીબો જાણે પોતાને તેનાથી પણ ઉચીં પદવી પર સમજતા હોય તેવું એલફેલ વર્તન કરી રહ્યા હતા.