• અમદાવાદમાંથી ચોરી કરી ગામડે ફરાર થઈ જતા

  • રાજસ્થાનમાં મંદિર માટે 6 લાખ રૂપિયા દાન કરવાનું નક્કી કરેલું
  • પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં તાજેતરમાં જ ઘરફોડ ચોરીમાં 95 લાખથી વધુની મત્તા ચોરી કરી ઘરઘાટીઓ ફરાર થઈ ગયા હતા. જો કે ગણતરીના દિવસોમાં સેટેલાઇટ પોલીસ અને ઝોન7 LCB ટીમે ચોરી કરનાર શખ્સો પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા આર્યાવ્રત સ્કાય એપાર્ટમેન્ટના એક મકાનમાંથી લાખોની મત્તાની ચોરી થઈ હતી. મકાન માલિક વેપારી પરિવાર સાથે ફરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરો ઘરમાંથી હાથફેરો કરી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 95 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. આ બનાવ અંગે ઘરે પરત આવતા પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. આ દરમિયાન ઝોન7 LCB ટીમને સીસીટીવી એનાલિસિસ કરતા પૂર્વ ઘરઘાટી હોવાનું સામે આવ્યું. ચોરી કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન બીછીવાડા બોર્ડર પરથી કેટલાક શખ્સો પસાર થવાના હતા તે દરમિયાન બીચીવાડા પોલીસે પણ ઇલેક્શન હોવાના કારણે 26 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી હતી જ્યારે અન્ય આરોપીઓમાં એક સગીર અને અન્ય ત્રણ ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા સગીર પાસેથી ₹7.52 લાખ રોકડ કબ્જે કરવામાં આવ્યા. જ્યારે અન્ય ચોરી કરેલ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ તેના સાગરીતો પાસે હોવાનું સામે આવ્યું હતું. 

હાલમાં એલસીબી આરોપીઓ ગોવિંદ મેઘવાલ , હરીશ કટારા , પ્રકાશ યાદવની ધરપકડ કરી 19 લાખથી વધુનો મુદ્દામાલમાં કબ્જે કર્યો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે હજી પણ કેટલાક ઈસમો આ ગુનામાં સંડોવાયેલા છે તે પૈકી પાંચેક ઈસમો હાલ પોલીસ પકડથી બહાર છે. એટલું જ નહીં ચોરી કરેલ રોકડ રકમમાંથી દરેક આરોપીએ પોતાના ભાગે આવતા રૂપિયામાંથી રાજસ્થાનમાં મંદિરના નિર્માણ કાર્ય માટે પણ 6 લાખ દાન પેટે આપવાના નક્કી કર્યા હતા. મહત્વનું છે કે બે વર્ષ અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરી ચૂકેલા શખ્સે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે મકાન માલિક વેપારી દિવાળી વેકેશનમાં બહાર ગયા હોવાનું માલૂમ પડતા ઘરઘાટી હરીશ કટારા અને તેના સાગરીતો દ્વારા આ બંધ મકાનમાં ચોરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં હરીશ કટારા નામનો આરોપી ઘરઘાટી તરીકે આર્યાવ્રત1 એપાર્ટમેન્ટમાં જ નોકરી કરતો હતો. પણ વેપારીને ત્યાં ચોરી કરવાથી મોટી મત્તા મળી રહેશે તેવી અંદાજને પગલે સગીર સહિત 8 થી 9 શખ્સોએ ઘરફોડ ચોરી અંજામ આપ્યો હતો. 

પકડાયેલા ત્રણેય આરોપીઓ અને અન્ય ફરાર આરોપીઓ મૂળ રાજસ્થાન ડુંગરપુરના રહેવાસી છે. અને છેલ્લાં ઘણા સમયથી સેટેલાઈટ સહિત આસપાસના વિસ્તારોમાં ઘરઘાટી તરીકે નોકરીની લાલચે પગપેસારો કરતા અને સમય મળે ઘરફોડ ચોરી ને અંજામ આપી ગામડે ભાગી જવાની ફિરાકમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘરફોડ ચોરી કરતી ટોળકીએ અન્ય કોઈ ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઈ છે.


  • Follow us on: