જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવનાર છે.
નાયબ મામલતદાર પુરવઠા દ્વારા મંજૂરી આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ અનાજનો પુરવઠો મળશે
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાનાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકીમાં છે તે રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા મંજૂરી આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે.
જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યું
મે માસમાં PMGKAY(NFSA) યોજના હેઠળ મે અને જુન-૨૦૨૫ માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરીત કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાનાં જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવશે, જેના માટે દરેક કાર્ડધારકે કુલ-૩ વાર આધાર આધારીત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે તેમ, જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.