ગીર સોમનાથમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. છાશવારે રહેણાંક વિસ્તારોમાં લોકો પર સિંહ અને દીપડા દ્વારા હુમલા થવાના અહેવાલો પ્રકાશમાં આવે છે. ત્યારે ગીર સોમનાથમાં સિંહણે વૃદ્ધા પર હુમલો કર્યો હતો. પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહણની ચૂંગાલમાંથી છોડાવી હતી. પુત્રીએ બહાદૂરી બતાવી પોતાની માતાને બચાવી લીધી હતી. ગ્રામજનોએ સિંહણને પાંજરે પૂરવા માગ કરી છે.


પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહણથી બચાવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા જેવી જ એક પુત્રીએ પોતાની વૃદ્ધ માતાને સિંહ સામે બાથ ભીડીને બચાવી લીધી હતી. ગીર સોમનાથના કોડિનારના બોડવા ગામે સિંહણે એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. ચીખલી ગામે રહેતા 65 વર્ષના મલાઈબેન બોઘાભાઈ મકવાણા પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં બોડવા આવ્યા હતાં.આ દરમિયાન સિંહણે તેમની પર હુમલો કર્યો હતો.

સિંહણને પાંજરે પુરવા ગ્રામજનોની માગ

મલાઈબેન પર સિંહણે હુમલો કરતાં તેમની પુત્રીએ સિંહણ સામે બાથ ભીડી હતી અને પોતાની વૃદ્ધ માતાને બચાવી લીધી હતી. સિંહણના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મલાઈબેનને સારવાર માટે પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં અંબુજા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિંહના હુમલા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગ્રામજનોએ વૃદ્ધા પર હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા માગ કરી છે.


  • Follow us on: