રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસીય “ચોટીલા ઉત્સવ”નો શુભારંભ શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે કરવામાં આવ્યો હતો.


દર વર્ષે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

આ તકે ઉપસ્થિત ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જીવનની અંદર ઉત્સવોનું ખૂબ જ મહત્વ છે. ગુજરાતની પરંપરાગત લોકસંસ્કૃતિ અને કલા વારસોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોટીલા સહીત ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી, શામળાજી, રાણકીવાવ સહિતના ૧૧ ધાર્મિક સ્થળોએ દર વર્ષે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

પ્રવાસન પ્રવૃત્તિ અને ગુજરાતના વિકાસને પણ વેગ મળે છે

ગુજરાતના કલાકારોની કલા અને સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ ગુજરાતની સંસ્કૃતિ, ભાષા અને અસ્મિતા તેમજ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન હેતુસર જે તે સ્થળે મહિમા આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો થકી જિલ્લા અને રાજ્યના કલાકારોને પોતાની કલાને પ્રસ્તુત કરવાની એક સોનેરી તક મળે છે. જે પણ કોઈ વિજેતાઓ થાય છે એમને રાજ્યકક્ષાનું મંચ મળે છે. પ્રવાસન પ્રવૃત્તિ અને ગુજરાતના વિકાસને પણ વેગ મળે છે. વધુમાં તેઓએ આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા નાગરિકોને અપીલ કરી હતી.

આ ઉત્સવમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજેન્દ્રભાઈ રાવલ અમદાવાદ દ્વારા કેરવાનાં વેશની અનોખી પ્રસ્તુતિ કરી હતી. તેમજ કે. એલ. ઈન્સ્ટીટ્યૂટ ફોર ડીફ, ભાવનગરની દિવ્યાંગ બાળાઓ દ્વારા સુંદર ગણેશ સ્તુતિ રજુ કરી હતી. એસ. વી. પટેલ બાળશાળા, આણંદ દ્વારા રાજસ્થાની તેરાહ તાલી નૃત્ય, આંગીકમ ગ્રુપ વિસનગર દ્વારા ગરબો, આદિવાસી યાહામોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ નર્મદા દ્વારા વસાવા હોળી નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. ગોવિંદભા ગઢવી થાનગઢ દ્વારા લોક ડાયરો તેમજ જયદેવ ગોસાઈ રાજકોટ દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મહાનુભાવો કાર્યક્રમમાં રહ્યાં હાજર

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અપર્ણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોટીલા મામલતદાર પી. બી. જોશી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ તકે ચોટીલાધામનાં મહંત અવિનાશગીરી તેમજ ઉમંગગીરી, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, મુળી મામલતદાર આર.ડી. પટેલ, થાનગઢ મામલતદાર એન. આર.પટેલ, થાનગઢ તાલુકા વિકાસ અધિકારી જે. આર. બોરીચા, મુળી તાલુકા વિકાસ અધિકારી શ્રી જે. કે. બલદાણીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ટી. પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રકાશસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.

 

  • Follow us on: