રાજ્યમાં ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (CCHF) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઈતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે.
વ્યક્તિથી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પૂનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.
ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવરના શું છે લક્ષણો ?
- ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર તાવ
- સ્નાયુનો દુખાવો
- ચકકર આવવા
- ગરદનમાં દુખાવો અને પીઠ-માથાનો દુખાવો
- ઝાડા-ઉલ્ટી થવા
- નાક કે પેઢામાંથી લોહી નીકળવું
કેવી રીતે ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર પર નિયંત્રણ મેળવી શકાય?
ઈતરડીથી- માનવમાં સંક્રમણ અટકાવવા નાગરીકોએ રક્ષણાત્મક કપડાં પહેરવા જેમ કે લાંબા સ્લીવ કે લાંબા ટ્રાઉઝર વગેરે, કપડા પર કે શરીર પર ઈતરડી દેખાય તો તેને સુરક્ષિત રીતે દુર કરાવી, પ્રાણીઓ પર અથવા તેના રહેઠાણ પર ઈતરડી ઉપદ્રવને દૂર કરવી અથવા નિયંત્રિત કરવી, ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવરથી ચેપગ્રસ્ત દર્દી સાથે નજીકના શારીરિક સંપર્ક ટાળવા જોઈએ. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજા અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા અને નિયમિત સાબુ વડે હાથ ધોવા જોઈએ.
વર્ષ 2024માં એક પણ કેસ રાજ્યમાં નોંધાયો નથી
ઉલેખ્ખનીય છે કે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 50 વર્ષના પુરુષ ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેડીકલ કોલેજના તજજ્ઞોની રેપીડ રીસ્પોન્સ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવનાર છે. રાજ્યમાં આ રોગનો છેલ્લો કેસ વર્ષ 2023માં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે વર્ષ 2024માં રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.