ગુજરાત સરકાર અંધશ્રદ્ધા નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. જેનો જીવતું જાગતું ઉદાહરણ છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યું છે. સરકાર અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અથાગ પ્રયત્નો કરે છે, કરોડો રૂપિયાનું આંધણ કરે છે, લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે સરકારનો જ એક વિભાગ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.
તપાસમાં આ ચોંકાવનારી માહિતી મળી
છોટા ઉદેપુર જિલ્લાનું આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓને શોધવા હવે બડવા ભુવાનો સહારો લીધો છે અને આ બળવા ભૂવા એક બે નહીં પણ લગભગ 700 કરતા વધુ છે. છોટા ઉદેપુર જિલ્લા આરોગ્યના ટીબી વિભાગ દ્વારા હવે ટીબીના દર્દી શોધવા માટે આશા વર્કર તેમજ અન્ય સેવાઓની સાથે સાથે બડવા ભુવાને સહારો લઈ રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. છોટા ઉદેપુર જિલ્લામાં બડવા ભૂવાની સહાય છેલ્લા 10 વર્ષથી લેવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 742 બડવા ભુવાની સહાય લેવામાં આવી રહી છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
ભૂવાને 1000નું ઈન્સેન્ટિવ પણ અપાય છે
છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના ટીબી વિભાગ દ્વારા ગામડે ગામડે બડવા ભૂવા છે અને જિલ્લાની અભણ પ્રજા નાની મોટી સમસ્યા અથવા બીમારી માટે આ બડવા ભૂવા પાસે જતી હોય છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આવા બડવા ભુવાઓની ઓળખ કરી તેઓ માટે સેમીનાર પણ કરવામાં આવ્યા છે અને આ બડવા ભુવાઓને ટીવીના લક્ષણો અંગે માહિતી આપી તેમની પાસે આવતા શંકાસ્પદ લોકોને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવા માટેની સમજ પણ આપવામાં આવી છે અને આવા દર્દીઓને બડવા ભૂવાઓને ડ્રોપ પણ આપીને દર્દીઓને આપવા માટે સમજ આપવામાં આવતી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. આ માટે ટીબીના દર્દી દ્વારા આખો કોર્ષ પુરો કરી ટીબી મુક્ત થાય ત્યારે બડવા ભુવાને રૂ.1 હજારનું ઈન્સેન્ટિવ પણ આપવામાં આવતું હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે.
આરોગ્ય વિભાગની આ નીતિ ઉપર સવાલો
આ અંગે જ્યારે એક બડવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા તેઓને સેમિનારમાં બોલાવવામાં આવ્યા હતા અને ટીબીની માહિતી આપીને દર્દીઓને મોકલવાનું કહેવામાં આવ્યું હતું અને જ્યારે તેઓ તેમની પાસે આવતા લોકોની શું સારવાર કરે છે તે જાણવાનો પ્રયત્ન કરતા બડવાએ જણાવ્યું કે અને તાવ જેવુ હોય તો ઝાડુ નાખીને અથવા દોરાધાગા કરી આપીએ બાકી ટીબી કેન્દ્ર તો અમારાથી કે મહારાજ બડવા ભુવાથી ના જ માટે. તેની તો દવા જ કરાવવી પડે. તેને જણાવ્યું કે મારી દીકરીને પણ ટીબીની ગાંઠ હતી, તેને પણ દવાખાને લઈ ગયા દવા કરી ત્યારે હવે સારું થયું છે. એક તરફ આરોગ્ય વિભાગ બડવા ભુવનો સહારો લે છે અને બીજી બાજુ બડવા ભૂવા જાતે તેની દવા કરી શકતા નથી. જેને લઈને આરોગ્ય વિભાગની આ નીતિ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે.