મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધું સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આરોગ્ય મંત્રીની સૂચનાને પગલે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટ્લ હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સ પૈકીની 542 જેટલી એમ્બ્યુલન્સને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન 542 એમ્બ્યુલન્સનો 108 સેવા દ્વારા સંચાલન થશે.


રાજ્યમાં કુલ 1499 જેટલી એમ્બ્યુલન્સ સેવારત થશે

જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 118, સામુહિક આરોગ્ય કેન્દ્રની 310, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 59, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 31 અને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની 21 મળીને કુલ 542 જેટલી નવીન એમ્બ્યુલન્સ હવે 108 સેન્ટર દ્વારા કાર્યાન્વિત થશે.રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ 800 ALS/BLS એમ્બ્યુલન્સ અને 38 આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ઓન રોડ કાર્યરત છે. આ વર્ષમાં નવીન 119 જેટલી 108 એમ્બુલન્સનો ઉમેરો થતા કુલ 957 જેટલી 108 એમ્બ્ચુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે.વધુમાં આ 542 એમ્બ્યુલન્સનું પીઠબળ પણ 108ને મળતા હવે રાજ્યમાં કુલ 1499 જેટલી એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં આકસ્મિક પરિસ્થિતિમાં સેવારત થશે.

રાજ્યમાં 542 એમ્બ્યુલન્સને લોકોની સારવાર માટે મુકવાથી ફાયદા

રાજ્યમાં 108સેવા દ્વારા છેલ્લા બે વર્ષમાં 28,69,115 જેટલા લોકોને મેડીકલ સેવાઓ પુરી પાડેલ છે. જેમાં હવે રાજ્યમાં 542 એમ્બ્યુલન્સોનો ઉમેરો થતાં કુલ 1499 એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને વધુ સુદ્રઢ બનાવવા કાર્યક્ષમ સાબિત થશે.ઇમરજન્સી કેસ આંતર-સુવિધા ટ્રાન્સફરના હાલના રોજીંદા 350 થી 400 જેટલા કેસોનું કાર્યભારણ રહે છે. હાલમાં રિસ્પોન્સ ટાઈમ રૂરલ એરીયામાં 21.04મિનીટ અને અર્બન માં 11.26 મિનીટ છે. જેમાં 542 એમ્બ્યુલન્સના કાફલો ઉમેરાતા ગુજરાત રાજ્યના હાલના સરેરાશ 16.5 મિનીટના રિસ્પોન્સ ટાઈમને ઘટાડી સરેરાશ 10.00 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ સિદ્ધ કરવાનો લક્ષ્યાંક છે.

એમ્બ્યુલન્સ-વાહનો સહેલાઈથી લોકોને ઉપલબ્ધ થશે

સ્માર્ટ રેફરલ સિસ્ટમ (SRS) થકી ઇન્ટીગ્રેશન કરી તમામ ગંભીર દર્દીઓના પરિવહન/આંતરપરિવહનનું યોગ્ય ટ્રેકિંગ થઈ શકશે અને યોગ્ય સમયે યોગ્ય દર્દીને યોગ્ય હોસ્પિટલ ખાતે પહોંચાડવાની સક્ષમ વ્યવસ્થા સુનિશ્ચિત થશે. 542 એમ્બ્યુલન્સોની સેવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી જેને 108 મારફત સેવામાં મુકવાથી વાહન સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ ઉપયોગ કરી શકાશે, જેનાથી સામાન્ય/ગંભીર ઈમરજન્સી તેમજ હોસ્પિટલથી અન્ય હોસ્પિટલ ખાતે દર્દીની રેફરલ સુવિધા બંને પ્રકારની જરૂરિયાતો માટે એમ્બ્યુલન્સ-વાહનો સહેલાઈથી લોકોને ઉપલબ્ધ થશે.

સિસ્ટમ સુધારણા માટે નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે

542 એમ્બ્યુલન્સોમાં પ્રિહોસ્પિટલ કેર માટે એક સમાન SOPs પ્રોટોકોલ મુજબ એકસમાન દવાઓ, વપરાશની વસ્તુઓ, તાલીમબધ્ધ કર્મચારીઓ અને મેડિકલ સાધનો સાથેની એક સમાન વ્યવસ્થા તમામ એમ્બ્યુલન્સોમાં ગંભીર દર્દીને હોસ્પિટલ ખાતેથી આંતર-સુવિધા ટ્રાન્સફર તેમજ ઘટના સ્થળેથી હોસ્પિટલ પરિવહન દરમિયાન સાતત્યપૂર્ણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સંભાળ સુનિશ્ચિત કરશે. દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા વધવા પામશે અને ગ્રામીણ વિસ્તારમાં પણ ઝડપથી લોકોને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થશે.રીયલ-ટાઇમ ડેટા અને સંયુક્ત, સંકલિત વ્યાપક કામગીરી વિશ્લેષણ ભવિષ્યના સંસાધન ફાળવણી અને સિસ્ટમ સુધારણા માટે નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે.

104.77 કરોડના બજેટનું આયોજન પણ કરવામાં આવેલ છે

હાલમાં 108 સિસ્ટમનું સે‍ન્ટ્રલાઈઝ કંટ્રોલ તથા સી.એમ ડેશબોર્ડ સાથે જોડાણ થયેલ છે જેથી ડિઝાસ્ટર કે અપેડેમિક જેવી ઘટનાઓમાં રાજ્ય કક્ષાએથી વધુ અસરકારક રીતે સંકલન સાથે અમલીકરણ કરી શકાય છે.રાજ્યમાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ સેવાઓમાં હવેથી તમામ પ્રકારની માહિતી એક જ સંસ્થા 108 EMRI GHS પાસેથી કયા પ્રકારના દર્દીઓને રીફર કરેલ તે અંગેની જાણકારી મળી રહેશે.રાજયમાં હાલની 108 ઈમરજન્સી સેવાના પ્રોટોકોલ, તાલીમબધ્ધ, મેનપાવર, ઓપરેશનલ સંચાલનની કાર્યપ્રણાલી સાથે કુલ 542 એમ્બ્યુલન્સને 108 સેવા હેઠળની આ વ્યવસ્થાને ઓપરેશનલ કરવા રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 104.77 કરોડના બજેટનું આયોજન પણ કરવામાં આવેલ છે.


  • Follow us on: