- હાઇવે ઉપર પાણી આવી જતા રસ્તો બંધ
- રસ્તો બંધ થતાં વાહનોના લાગ્યા થપ્પા
- સરાડીયા પાસે વાહનોની લાંબી કતારો
જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા 15 ગામો સંપર્ક વિહોણા થયા છે.જૂનાગઢ પોરબંદરનો રસ્તો બંધ થયો છે.હાઇવે ઉપર પાણી આવી જતા રસ્તો બંધ થયો છે.અનેક વાહનોની રોડ પર લાઈન લાગી છે.સરાડીયા પાસે વાહનોની લાઈન લાગતા ટ્રાફિક જામના દશ્યો સર્જાયા છે.વાહન ચાલકોની સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
દામોદર કુંડમા પૂર આવ્યું
મોડી રાતથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે ગિરનાર પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. દામોદર કુંડમાં તો પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.મેઘરાજાની જોરદાર બેટિંગના કારણે દામોદર કુંડમાં પૂર આવ્યું હોવાની તસવીરો સામે આવી છે. ગિરનાર પર્વત પર સાત ઈંચ વરસાદ ખાબકતા દામોદર કુંડમાં સવારે પાંચ વાગ્યે પૂર આવ્યું હતું. દામોદર કુંડ ઓવરફ્લો થઇ જતા સુંદર નજારો જોવા મળ્યો હતો.

પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ
પંચાયત હસ્તકના 12 માર્ગ, અન્ય બે માર્ગ બંધ છે. તેમજ સુરતમાં 6, પોરબંદરમાં બે માર્ગ બંધ કરાયા છે. તથા રાજકોટ, અમરેલીમાં 1-1 માર્ગ બંધ છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર 1-1 માર્ગ બંધ છે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે. અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.

નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ
જૂનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.