ગત વર્ષે સારું ચોમાસુ થતાં જુનાગઢનો સૌથી મોટો ડેમ ઓજત 2 ઓવર ફ્લો થઈ ચૂક્યો હતો અને જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ઓજત બે ડેમમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.


ઓજત 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા જેનો લાભ 25 ગામડાઓમાં થશે

ઓજત બે ડેમ તેમજ આણંદપુર ડેમમાંથી ખેડૂતોને પિયત માટે પાણી આપતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. સિંચાઈ વિભાગ દ્વારા ઓજત 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા જેનો લાભ 25 ગામડાઓમાં થશે. ઓજત 2 ડેમમાંથી 2500 વીઘા જમીનમાં અને આણંદપુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી 1500 વીઘા જમીનને ફાયદો થશે. આ કેનાલમાં છોડવામાં આવેલા પાણીનો લાભ અંદાજિત 200થી વધારે ખેડૂતોને મળશે અને તેમની પાસેથી એડવાન્સમાં એક વીઘા દીઠ પાણીના 22 રૂપિયા લેખે વસૂલ કરવામાં આવ્યા છે.

એક વખત પાણી વિના મૂલ્ય આપવામાં આવશે

ખેડૂતોને ઉનાળાની સિઝનમાં પાંચ-પાંચ એટલે કે પાંચ વખત પાણી વિતરણ કરવામાં આવશે તેમજ ખેડૂતોને એક પાણ એટલે કે એક વખત પાણી વિના મૂલ્ય આપવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા ઓજત 2 અને આણંદપુર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને હવે સારું ઉત્પાદન થશે તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે.


  • Follow us on: