ગુજરાતમાં કચ્છના અંતરિયાળ ગામડામાં મનની શાંતિ માટે વિદેશીઓ અને અબજોપતિઓની મુલાકાતમાં વધારો થયો છે. કચ્છનું બાડા ગામ આજે અબજોપતિઓ માટે પસંદગીનું સ્થાન બની રહ્યું છે. આ ગામની મુલાકાત લેનાર એક શખ્સે કહ્યું કે અહીં ઘણાની જિંદગી બદલાઈ ગઈ છે. ચારેતરફ એકદમ શાંતિ, મોરના મધુરા ટહુકા, આસપાસમાં લીલોતરી, બાજુમાં જ દરિયાકિનારો અને ત્યાંથી આવતો ઠંડો પવન, કાળઝાળ ગરમીમાં પણ 37 ડિગ્રી જેટલું તાપમાન, સાંજના સમયે ઘર તરફ જતી ગાયોનાં ધણ અને એના ગળામાં બાંધેલી ઘંટીનો આવતો અવાજ.


જાણો રહસ્ય

આ કોઈ વાર્તાનું વર્ણન નથી, પણ હકીકત છે. જે તમને જોવા મળે કચ્છના એક નાનકડા ગામમાં. માંડવીથી 25 કિલોમીટર દૂર બાડા ગામ આવેલું છે. માંડ 3 હજાર જેટલી વસતિ હશે. આમ તો વિસ્તાર અંતરિયાળ છે, પણ 1991માં બનેલા વિપશ્યના કેન્દ્રના કારણે ઘણા લોકો અહીં ખાસ આવે છે.

વિપશ્યના કેન્દ્રનું લોકોમાં આકર્ષણ

કચ્છના અંતરિયાળ ગામડામાં વિદેશી સાધકો કદાચ એવો પ્રશ્ન થાય કે ગુજરાતમાં વિપશ્યના કેન્દ્ર તો ઘણાં છે તો કચ્છના બાડા ગામે આવેલા આ વિપશ્યના કેન્દ્રની વાત શા માટે? જેનો જવાબ છે અહીં આવતા સાધકો. અહીં ભારતમાંથી જ નહીં, પણ મોટી સંખ્યામાં વિદેશી સાધકો આવે છે. સ્વિડન, નેધરલેન્ડ, જાપાન, મ્યાનમાર, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશમાંથી લોકો અહીં આવે છે અને સાધના કરે છે.

આ વિપશ્યના કેન્દ્રમાં શાંતિ અને સગવડ છે, રેલવે સ્ટેશન નથી એટલે ટ્રેનની આવન-જાવન નથી થતી. કોઇ મોટો હાઇવે નથી એટલે વાહનોનો ઘોંઘાટ પણ નથી. કદાચ આ જ વાત વિદેશીઓને અહીં આવવા માટે આકર્ષતી હશે. અહીં મોટી સંખ્યામાં સાધકો રહી શકે છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ નિવાસસ્થાન, બન્નેના ડાઇનિંગ હોલ અલગ. ટીચિંગ પણ અલગ. જમવાનું ફક્ત શાકાહારી અને એ પણ કાંદા-લસણ વગરનું.

1980થી વિપશ્યના શિબિરો 

બાડા ગામથી 4 કિલોમીટર દૂર આવેલા દુર્ગાપુર (નવાવાસ) નામના ગામની બોર્ડિંગ સ્કૂલમાં વર્ષ 1980થી વિપશ્યના શિબિરો ચાલતી હતી. એના પછી બાડામાં 19 એકર જમીન આ જેમાં આ કેન્દ્ર બન્યું છે. વિપશ્યનાના એસ.એન.ગોયન્કા પણ અહીં આવીને 12 દિવસ સુધ રહ્યા હતા. અહીં વિપશ્યના કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન), પડે છે. વર્ષે 15થી 20 હજાર લોકો આવે છે, જેમાંથી વિદેશીઓની સંખ્યા 2 હજાર આસપાસ છે. એક સમયે 4 હજાર જેટલા વિદેશીઓ અહીં આવતા હતા. કેટલાક ખાસ વિપશ્યના કરવા માટે આવે છે તો કેટલાક ભારતમાં ફરવા આવ્યા હોય અને માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે અહીં આવે છે. મોટા ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ વચ્ચે વિદેશીઓ અહીં આવવાનું પસંદ કરે છે. ઘણા NRI પણ આવે છે.

ઓછામાં ઓછો 10 દિવસનો કોર્સ કરવો જ પડે. એ વગર વિપશ્યના શું છે એ ખબર ન પડે. એ પછી સાધક જ્યારે ફરીથી આવે ત્યારે તેમના માટે 1, 2 કે 3 દિવસના અલગ અલગ કોર્સ હોય છે. એનાથી આગળ 8 દિવસનો સતિપઠ્ઠાન કોર્સ હોય છે. વધુ ઊંડાણમાં જવું હોય તો એ માટે 20, 30, 45 ઉપરાંત 60 દિવસ પણ થાય છે.

કેન્દ્રમાં પ્રશિક્ષણ

પોતાના મનને વશમાં કેમ કરવું અને નિર્મળ કેમ કરવું? ખોટું ન બોલવું, ચૂગલી ન કરવી, નશો ન કરવો વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે. આ કોર્સ દરમિયાન અહીં રહેવા, જમવાનું તેમજ નાસ્તો મળે છે, જોકે એના બદલામાં સાધકો પાસેથી કશું લેવાતું નથી. હા, કોઇ સ્વૈચ્છિક રીતે દાન આપે તો એ સ્વીકારાય છે. શરૂઆતમાં એવું થતું કે લોકો કોર્સ પૂરો થયા બાદ પણ અહીં રહેતા હતા અને ધમ્મ સેવક તરીકે સેવા આપતા હતા. હવે સામાન્ય રીતે કોર્સ પૂરો કરીને 11મા દિવસે મોટા ભાગના લોકો નીકળી જાય છે.


  • Follow us on: