નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સબંધીઓ સાથે કુંભમેળાની યાત્રા પર ગયા હતા. દરમ્યાન રવિવારે રાત્રે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી. જેમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું.


મળતી માહિતી મુજબ નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિબેન કિરણભાઈ પટેલ સબંધીઓ સાથે કુંભમેળામાં જવા નીકળ્યા હતા. દરમ્યાન રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી. જેમાં સ્વાતિબેનને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવમાં અન્ય 8 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી. સ્વાતીબેનના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ સ્વાતિબેન નવસારીની ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા.

  • Follow us on: