અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને છેલ્લા આઠ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ખેડૂત દિલીપભાઈ દેસાઈના હાડકા અને શરીરના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે અને સમગ્ર મામલે વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દોડતું થયું છે.


લોહીલુહાણ કપડાં અને ટ્રેક્ટર મળ્યા બાદ અવશેષો મળ્યા

આ કરુણ ઘટનાની વિગત એવી છે કે દિલીપભાઈ દેસાઈ છેલ્લા આઠ દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા. શોધખોળ દરમિયાન ગઈકાલે તેમના જ ખેતરમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ અને લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા, જેનાથી કોઈ મોટી અણહોની થઈ હોવાની આશંકા દ્રઢ બની હતી. ગઈકાલથી જ વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા ઘટનાસ્થળે સઘન સ્કેનિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ખેતરાડી વિસ્તારમાંથી ખેડૂતના હાડકા અને શરીરના અન્ય અવશેષો મળી આવ્યા હતા.

સિંહના હુમલાની આશંકા: એફએસએલ રિપોર્ટની રાહ

જુનાસાવર ગામના સ્થાનિક ગ્રામજનોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે ખેડૂત દિલીપભાઈ પર કોઈ હિંસક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે અને સિંહે જ તેમને ફાડી ખાધા છે. જો કે, આ સિંહનો હુમલો છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે મૃતકના અવશેષોને એકત્ર કરી સાવરકુંડલાથી ભાવનગર ખાતે એફ.એસ.એલ. (FSL) લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ અને પોલીસના જણાવ્યા અનુસાર, એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ ખેડૂતના મોતનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: